Monday, June 7, 2010

દરિયાનું પાણી ખારું કેમ

ઘણા વર્ષો પહેલા દરિયાનું પાણી ખારુ ન હતું. લોકો પી શકે તેવું મીઠું હતું. દરિયાનું પાણી ખારું શા માટે થયું તેની આ વાત છે.
ધર્મપુર નામના એક ગામમાં કેશવ અને લીલા રહેતા હતાં. કેશવનો નાનો ભાઈ શ્રીધર પણ કેશવની સાથે જ રહેતો હતો. કેમ કે તે અનાથ હતો. લીલાને શ્રીધર દીઠોય ગમતો ન હતો.તેથી તે તેને સતત નાના મોટા કામો બતાવ્યા કરતી.શ્રીધર પોતાની ભાભીના આ કચકચિયા સ્વભાવથી કંટાળી ગયો હતો.
એક દિવસ લીલાએ શ્રીધરને જંગલ માંથી લાકડા લઈ આવવાનું કહ્યું શ્રીધરે ઘણું લાકડા ભેગા કર્યા પરંતુ કુહાડી તે જંગલમાં જ ભૂલી ગયો.એ ઘેર પહોંચ્યો ત્યારે તેને યાદ આવ્યું કે તે કુહાડી તો જંગલમાં ભૂલી ગયો છે. ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો રાત પડી ગઈ હતી. જ્યારે લીલાને આ વાતની ખબર પડી ત્યારે તે શ્રીધર ઉપર બરાબરની ગુસ્સે ભરાઈ. તું હમણાને હમણાં જંગલમાં જા અને કુહાડી લઈને પાછો આવ. કુહાડી નહિ મળે તો તને ખાવાનું પણ નહિ મળે,
સામાન્ય રીતે રાત્રીના સમયે જંગલમાં જતી વખતે કોઈ પણને બીક લાગે. જ્યારે શ્રીધર તો હજી ખૂબ જ નાનો હતો. તેને ભૂખ પણ વધારે લાગી હતી. છતાંય ભાભીના હુકમને વશ થઈને તે જંગલ તરફ ચાલવા લાગ્યો. અંધારૂ તો એટલું બધું હતું કે કુહાડી તો ક્યાંય મળી નહિ. કુહાડી શોધતા શોધતા તે જંગલમાં ખૂબ ઉંડે સુધી જતો રહ્યો. ત્યાં તેણે એક ગુફા જોઈ. તેમાં વળી એકાએક વરસાદ પડવા લાગ્યો. તેથી શ્રીધર પોતાની સલામતી માટે ગૂફામાં પેસી ગયો. ત્યાં તેણે પોતાની કુહાડી તેમજ બાવળાનું લાકડું જોયું. તેથી તેને ખૂબ જ નવાઈ લાગી ! મારી કુહાડી અહીં ક્યાંથી ! ગૂફામાં ચાલચો ચાલતો જ્યારે તે ઘણો અંદર સુધી ગયો ત્યારે તેણે શું જોયું ! થોડા વહેંતિયાઓ સળગતા લાકડાની આસપાસ નૃત્ય કરી રહ્યા હતાં. એક ઘરડો વહેંતિયો શ્રીધરને જોઈ ગયો. તેણે શ્રીધરને કહ્યું અમારી પાસે નૃત્ય કરવા માટે આવી જા આજે અમારો ઉત્સવ છે.
શ્રીધર ગભરાઈ ગયો. તેણે તરત જ જવાબ આપ્યો. આગ ઓલવાઈ જવાની તૈયારી હતી ત્યારે શ્રીધરે તેમાં થોડા લાકડા નાંખ્યા. આગ વધારે પ્રજવલ્લિત થઈ. વહેંતિયાઓ તેની સેવાથી વધારે ખૂશ થઈ ગયાં.વૃદ્ધ વહેંતિયાએ આવીને કહ્યું “ તું ખૂબ સારો માણસ છે. તે અમને ઘણી મદદ કરી છે. અમે તને એક ભેટ આપવા માંગીએ છીએ. આ એક જાદુઈ પંખો છે. તું એને હલાવીને જે માંગીશ તે તને મલી જશે. જ્યારે તારે એ વસ્તું ન જોઈતી હોય ત્યારે બસ કરો, બસ કરો, આટલું બોલજે. આટલું કહીને શ્રીધરને પંખો આપીને વહેંતિયાઓ જતા રહ્યા. ”
શ્રીધરને તો પહેલા આખી વાત સ્વપ્ન જેવી લાગી. આવું ખરેખર બની શકે ખરૂં ? પંખો જાદુઈ હોઈ શકે ખરો ? તેને તે સમયે ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તેણે પંખો હલાવીને તેણે સારૂં સારૂં ખાવાનું માંગ્યું. ખરેખર લાડવા, દાળ,ભાત તથા વાલની થાળી આવી ગઈ. શ્રીધર ખાઈ શકે તેથી પણ વધારે ખાવાનું આવી ગયું. એટલે શ્રીધર બોલ્યો, “ બસ કરો, બસ કરો ”. તરત જ ખાવાનું આવતું બંધ થઈ ગયું. શ્રીધર ખુશ થઈ ગયો. હાશ ! હવે ભાઈ ભાભી ઉપર આધાર રાખવો નહિ પડે.! સૌથી પહેલા તો તે તેમના ઘર માંથી નીકળી જવા માટે ઈચ્છતો હતો. તેણે જાદુઈ પંખાએ કહ્યું, પંખા, પંખા મારે માટે દરિયાકિનારે એક સરસ મકાન બનાવી આપ. તરત જ નવું મકાન બની ગયું. ત્યાર બાદ તો પંખાની મદદથી તેણે ઘણા બધા ગરિબોને મદદ કરી અને પાંચમાં પુંજાવા લાગ્યો.
કેશવ પાસે શ્રીધરની સમૃદ્ધિના જ્યારે સમાચાર પહોંચ્યા ત્યારે કેશવ અને લીલાએ શ્રીધરને મળવાનું મનોમન વિચારી લીધું.
શ્રીધરના મકાનની બહાર તો મોટી મોટી લાઈનો લાગેલી હતી. દરેકને કાંઈકને કાંઈક જોઈતું હતું. શ્રીધર પોતાની શક્તિ અનુસાર દરેકની ઈચ્છા પુરી કરવાનો પ્રયત્ન કરતો હતો. લીલા તો શ્રીધરની આવી પ્રસિદ્ધિ જોઈને ઈર્ષ્યાની આગમાં બળી જ ગઈ. પરંતુ શ્રીધરે જ્યારે પોતાના ભાઈ ભાભીને જોયા ત્યારે તે પોતાના જુના દિવસો ભૂલીને તેમને માનપૂ્ર્વક ઘરમાં બોલાવી લાવ્યો.
લીલા અને કેશવ થોડો સમય શ્રીધરને ઘરે રહ્યાં. બંન્ને ઈર્ષ્યાની દાઝે બળી રહ્યા હતાં. લીલાએ કેશવને કહ્યું,તમે જઈને શ્રીધરને પૂંછો તો ખરા કે થોડા વખતમાં તે આટલો બધો રૂપિયા વાળો કેવી રીતે થયો ?
શ્રીધરે ભોળા ભાવે જાદુઈ પંખાની બધી વાત પોતાના ભાઈને કરી દીધી. રાત્રેજ શ્રીધર અને લીલા પોતાના ભાઈનો એ પંખો લઈને પલાયન થઈ ગયાં.લીલાએ વિચાર્યું કે હું તો પંખાને કહીશ કે મને રાણી બનાવી દે. ભાગતા ભાગતા તો બંન્ને જણા દરિયાકિનારે પહોંચી ગયાં. એક મોટું વહાણ ઉપડવાની તૈયારીમાં જ હતું. લીલાએ કેશવને કહ્યું આપણે બંન્ને જણા વહાણમાં બેસીને દુરના બીજા કોઈ દેશમાં જઈને વસી જઈએ. ત્યાં આપણને કોઈ પકડશે નહિ.
વહાણ મુસાફરોથી ભરાઈ ગયું હતું.તેઓ સૌથી છેલ્લા પ્રવાસીઓ હતાં.લીલા અને કેશવ જેવા વહાણમાં ચડ્યા કે તરત જ કપ્તાને પુછ્યું કે તમારા થેલામાં શું છે.? તમે ક્યાંથી આવો છો ?
લીલા હાજર જવાબી હતી તેથી તે તરત જ બોલી, મારા પતિ મીઠાના વેપારી છે. આ થેલામાં મીઠું છે. અમે અમારા ઘરાકોને મળવા માટે જઈએ છીએ. વહાણ ઊપડ્યું. લીલા અને કેશવને શાંતિ થઈ.
બીજે દિવસે વહાણનો રસોઈયો કપ્તાન પાસે આવ્યો તેણે ક્હયું કે રસોઈ માટે મીઠું જ લાવવાનું રહી ગયું છે. કાલે આપણું વહાણ બીજા ગામ પહોંચે ત્યાં સુધી તમામે મીઠા વિના જ ચલાવવું પડશે.
કપ્તાનને તરત જ લીલા અને કેશવ યાદ આવ્યા.તેમણે કેશવને કહ્યું કે તમારા થેલામાંથી થોડું મીઠું કાઢી આપશો ? રસોઈયો મીઠું લાવવાનું ભૂલી ગયો છે.
લીલા અને કેશવ શું બોલે ? બંન્ને એકમેકની સામે જ જોઈ રહ્યા. પછી કેશવ બોલ્યો કે તમે જાઓ હું ડોલ ભરીને મીઠું લઈને આવું છું. !
તેઓ પોતાની રૂમમાં ગયા.પંખો કાઢ્યો.હલાવીને મીઠું કાઢવા વિનંતી કરી.જોત જોતામાં તો મીઠાના થેલા ચારે બાજુએથી વહાણમાં પડવા લાગ્યાં. લીલા અને કેશવ મુંઝાઈ ગયા. હવે આ મીઠું પડતું બંધ કઈ રીતે કરવું ? તેમણે પંખો હલાવ્યો અને બંધ કરો, બંદ કરો, હવે નથી જોઈતું. વગેરે વગેરે જાતજાતના શબ્દો બોલ્યા, પરંતુ પંખો તો પોતાનું કામ કર્યે જ જતો હતો. જ્યાં સુધી બસ કરો શબ્દ ન બોલાય ત્યાં સુધી પંખો પોતાનું જાદુ ચાલું જ રાકવાનો હતો.
ધીમે ધીમે વહાણમાં મીઠાના થેલાઓનું વજન વધવા લાગ્યું. છેવટે આખું વહાણ લીલા કેશવ સહિત દરિયામાં ડૂબી ગયું અને એ દિવસથી દરિયાનું પાણી ખારું થઈ ગયું. તેથી તો સાચું કહેવામાં આવ્યું છે કે લોભે લક્ષણ જાય.
બોધઃ- સમજ્યા વગર કોઈ કામ ન કરવું.

ભાઇ માટેનો પ્રેમ

રામ અને કૃષ્ણ નામના બે સાવકા ભાઈઓ હતાં. તેમના પિતા વર્ષો પહેલા ગુજરી ગયા હતાં. રામકૃષ્ણ કાલિંદી સાથે રહેતા. રામ કાલિંદીનો સાવકો દિકરો હતો. જ્યારે કૃષ્ણ તેનો પોતાનો સગો દીકરો હતો. કાલિંદી રામને હંમેશા મેણા ટોણા માર્યા કરતી અને તેની પાસે ખૂબ જ કામ કરાવ્યા કરતી. કૃષ્ણને પોતાના ભાઈ રામ ખૂબ જ વ્હાલ કરતો હતો તેથી તે પોતાની માને ઘણી વાર રામ સાથે સારૂં વર્તન કરવાનું સમજાવ્યા કરતો.
કાલિંદી રામને તેવું અઘરૂ કામ સોંપે છતાંય રામ તે કામ કરી લાવતો.તેનું કારણ માત્ર એટલું જ હતું કે તે કોઈ પણ રીતે પોતાની સાવકી માને રાજી રાખવા ઈચ્છતો હતો. એક દિવસ સવારના પહોંરમાં કાલિંદીએ રામને બોલાવીને કહ્યું, આ પીપ પાણીથી ભરી કાઢ. હું સાજે આવું ત્યાં સુધીમાં પીપ ભરાઈ જવું જોઈએ. લે, આ ડોલ તેના વડે પાણી લાવી લાવીને ભરી દેજે. આટલું કહીને તે જતી રહી.
રામે પીપ સામે જોયું તો તે તરત જ બોલી ઉઠ્યો કે આવડું મોટું પીપ ભરાતા તો બે દિવસ નીકળી જાય. છતાં પણ તેણે તળાવમાંથી ડોલે ડોલે પાણી લાવીને પીપમાં ભરવાનું ચાલું કર્યું. થોડી જ વારમાં તેને ખ્યાલ આવ્યો કે ડોલ તો કાણી છે. આવી ડોલથી પાણી શી રીતે ભરાશે ? રામ ચિંતા કરતો હતો ત્યા જ કૃષ્ણ આવી પહોંચ્યો. રામે તેને બધી વાત કરી. કૃષ્ણે કહ્યું, મોટાભાઈ ચિંતા ના કરશો. આપણએ બે ભેગા થઈને આખું પીપ જોતજોતામાં ભરી કાઢીશું.
બીજે દિવસે પણ રામના ભાઈ કૃષ્ણે તેને ખૂબ જ મદદ કરી. સાંજેતો બે ભાઈઓ ગાડુ ભરીને લાકડા લાવ્યા.
કાલિંદીએ જોયું કે રામ બધું જ કામ કૃષ્ણની મદદથી જ પુરૂ કરે છે તેથી તેણે બીજ દિવસે કૃષ્ણને પોતાની સાથે બજારમાં લઈ જવાનું વિચાર્યું.
તેણે રામને કહ્યુ, નદીની સામે પાર ખૂબ જ સરસ ઘાસ ઉગે છે, આપણાં પશુંઓ માટે તું લઈ આવ. મારે આજે બજાર માંથી ઘણો બધો સામાન લાવવાનો હોવાથી હું તારા ભાઈ કૃષ્ણ ને મારી સાથે લઈ જાવ છું.
રામ એકલો જ નદી કિનારે પહોંચ્યો. નદીની સામે પાર ખરેખર ખૂબ જ સરસ ઘાસ ઉગેલું હતું. રામને વિચાર આવ્યો કે આટલું સરસ ઘાસ કેમ કોઈ લઈ જતું નહિ હોય ? ત્યાંજ તેની નજર એક વૃદ્ધ ભરવાડ ઉપર પડી.તેણે પૂછ્યું કાકા,નદીની સામે પાર કેવી રીતે જવાય ? મારે ત્યાંથી ઘાસ લાવવાનું છે.
કાકા તરત જ બોલ્યા કે અલ્યા ગાંડો થયો છે કે શું ? મેં આટલા વર્ષોમાં કોઈને પણ નદીની સામે પાર જતા જોયો નથી. ત્યાં જવામાં જાનનું જોખમ રહેલું છે.
રામને તેમની વાતમાં સમજણ ન પડી. જાનનું જોખમ ? શા માટે ?
વૃદ્ધ કાકાએ કહ્યું કે, મારા દાદાના વખતથી ત્યાં હજી સુધી કોઈ ગયું નથી. ત્યાં આટલું બધું ઘાસ વર્ષોથી એમનું એમ જ વધ્યું છે.નદીની પેલે પાર સેંકડો વરૂઓ છે.માણસને જોતાની સાથે જ વરૂઓ માણસ ઉપર તૂટી પડે છે અને તેમને જીવતા ફાડી ખાય છે. તે કોઈનાથી ગભરાતા નથી માત્ર વાઘથી જ તેઓ બી શકે છે. જો તને વાઘનો અવાજ કાઢતાં આવડતો હોય તો તું વરૂઓને ભગાડી શકે છે.
રામને તો વાઘ જેવો અવાજ કાઢતા આવડતો હતો. તેથી તેણે નદી ઓળંગી લીધી. જેવો તે સામે કિનારે પહોંચ્યો કે તરત જ તેની આસપાસ વરૂઓ ફરવા લાગ્યા.પરંતુ રામે જેવી વાઘ જેવી ત્રાડ પાડી કે તરત જ બધા વરૂઓ ગભરાઈને ત્યાંથી નાસી ગયાં. રામે શાંતિથી ઘાસ કાપીને તેના પૂળા બનાવ્યા. ત્યાં જ તેની નજર ત્યાંના એક સોનેરી ઝાડ ઉપર ગઈ. તેના પર સોનેરી રંગના સફરજન હતાં. પાછી તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી તેથી તેણે એક સફરજન તોડીને ખાઈ લીધું. ત્યાં જ તેને વિચાર આવ્યો કે આ સફરજન સાથે જો એકાદ પ્યાલો દૂધ મળી જાય તો મજા પડી જાય. બીજી જ સેકંડે તેણે દૂધ પીધું હોય તેવો સંતોષ થઈ ગયો. તેણે તરત જ બીજુ સફરજન તોડીને ખાતા ખાતા વિચાર્યું કે જો આની સાથે સાથે નારંગીનો રસ મળી જાય તો કેવી મજા પડી જાય. તરત જ તેણે જાણેકે નારંગીનો રસ પીધો હોય તેવો આનંદ થયો. તેથી રામને ખાત્રી થઈ ગઈ કે, માનો ના માનો પરંતુ આ કોઈ સામાન્ય ઝાડ નથી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારૂ આ કલ્પૃક્ષનું ઝાડ છે.
કાલિંદી ક્યારેય રામને સારું ખાવા પીવાનું આપતી નહોતી તેથી રામ એકદમ દુબળો અને પાતળો બની ગયો હતો. તેણે તરત જ ઝાડ પાસે ઈચ્છા વ્યક્ત કરી કે મને ખૂબ જ શક્તિશાળી બનાવી દો અને મને સારા સારા કપડા આપો. તેની તે ઈચ્છા પણ પૂરી થઈ. રામે ઘાસના ભારા હવે સહેલાઈથી ઉચકી લીધા અને પોતાના ઘરે જવા માટે ત્યાંથી નીકળ્યો.
જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે કાલિંદી તો તેને જોઈને જ ચકિત થઈ ગઈ ! ક્યાં પેલો પાતળો, સુકલકડી રામ અને ક્યાં રૂપાળો કાદવર, નવા કપડાંમાં શોભતો રામ ! કાલિંદીએ તો ધાર્યું હતું કે રામ પેલે પાર જશે અને મરી જશે. વરૂઓ ભેગા થઈને તેને મારી નાંખશે. અહીં તો તેની નજર સામે એક હૃષ્ટપુષ્ટ રામ ઊભો હતો! કાંલિદી અને કૃષ્ણે રામને ઘણા બધા પ્રશ્વો પૂંછયા. રામે ભોળા ભાવે કહ્યું કે, નદીને પેલે પાર એક વૃક્ષ છે એ વૃક્ષ પર જાદુંઈ ફળ ઉગે છે જે ખાવાથી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
બીજે દિવસે રામ જ્યારે બજારમાં પૂળા વેચવા ગયો કે કાલિંદીએ કૃષ્ણને બોલાવીને કહ્યું કે, તું પણ નદીની સામે પાર જઈને પેલા ઝાડ પાસે ઘણી બધી સંપત્તિ માંગી લાવ. તારા ભાઈને મળી શકતું હોય તો તને પણ મળશેજ.
થોડો વિચાર કરીને કૃષ્ણ નદી ઓળંગવા ગયો, કૃષ્ણના ગયા પછી થોડા સમયમાં જ રામ ત્યાં આવી પહોંચ્યો. તેણે પૂછયું કે, માં, કૃષ્ણ ક્યાં છે ?
કાલિંદીએ રામને કહ્યું કે, મેં કૃષ્ણને નદીની પેલી પાર મોકલ્યો છે ?
રામ ખૂબ જ ગુસ્સા સાથે બોલ્યો કે, માં, ત્યાં વિકરાશ વરૂઓ વસે છે. તે કૃષ્ણનો કોળિયો કરી જશે. તમારે કોઈ પણ અધરા કામ મને સોંપવા મારા નાના ભાઈને નહિ ! એને કાંઈ થશે તો હું તેના વિના જીવી નહિ શકું.
આટલું બોલીને તે નદી તરફ દોડ્યો.કાલિંદી હવે ખરેખર ગભરાઈ ગઈ.તે પણ રામની પાછળ પાછળ દોડી નદીની સામે પાર પેલા કલ્પવૃક્ષની ઉપર કૃષ્ણ ચડી તો ગયો હતો પરંતુ નીચે વરૂઓનું ટોળું તેની રાહ જોઈને ઉભું હતું. રામે આવીને વાધ જેવી ત્રાડ પાડી તેથી બધા જ વરૂઓ ગભરાઈને ત્યાંથી નાસી ગયા.તેણે તરત જ ઝાડ ઉપર ચડીને ગભરાઈ ગયેલા પોતાના ભાઈને નીચે ઉતાર્યો અને સૌથી પહેલા ઝાડ પરથી એક સફરજન તોડીને ખાઈ લીધું તથા મનમાં એક ઈચ્છા વ્યક્ત કરી.
નદીની સામે પાર કાલિંદી બંન્ને ભાઈઓની રાહ જોઈને ઉભી હતી. જ્યારે તેઓ આવી પહોંચ્યા એટલે તેણે બંન્ને દિકરા ઓને એક સરખું વહાલ કર્યું. હવે તેને કોઈ સંપત્તિની જરૂર ન હતી. પ્રભુએ તેને તેના બંન્ને દિકરાઓ પાછા આપી દીધા એ જ તેની મોટી ભેટ હતી.
રામે પૂછ્યું ભાઈ, છેલ્લે તે સફરજન ખાઈને ઝાડ પાસે શું માંગ્યું ? તને ત્યાંથી છોડાવે તેવું તે માંગ્યું હોત તો કદાચ તું બચી જાત.
કૃષ્ણે કહ્યું કે મારે બચી જવા કરતાં આપણી માં આપણને બંન્નેને એકસરખો પ્રેમ કરે તે મહત્વનું હતું તેથી મેં એ વૃક્ષ પાસે માંગણી કરી કે મારી માં પણ રામને પણ મારા જેટલો જ પ્રેમ કરે.
બધાની આંખમાં આસું આવી ગયા. ત્રણેય જણા શાંતિથી રહેવા લાગ્યા.
બોધઃ-પોતાના ભાઈબહેન માટે મરવાની પણ તૈયારી રાખવી જોઈએ

Monday, May 24, 2010

ચન્દ્રદેવનો દૂત

એક મોટા જંગલમાં વિશાળ સરોવર હતું. તેના કિનારેની આસપાસ ઊગી નીકળેલા ઘાસમાં સસલાંઓ આખો દિવસ રમતાં કૂદતાં રહેતાં.
રાત થતાં સસલાં આજુબાજુની પોત-પોતાની બનાવેલી બખોલમાં જઈ બેસતાં.એક દિવસ પાણીની શોધમાં હાથીઓનું એક ટોળું સરોવર પર આવી પહોંચ્યું.સરોવરનું પાણી જોતાં તરસ્યાં હાથીઓ રાજી થતાં દોડયા.
ઘાસ ચરતાં સસલાંઓ ગભરાઈ ગયાં. તેઓમાં નાસભાગ મચી ગઈ.એક સસલું બોલ્યું, ભાગો ભાગો, હાથીઓનું મોટું ધસી આવ્યું છે. બધાં સલામત જગ્યાયે પહોંચી જઈએ.
હાથી નો સૂંઢ હલાવતાં ઝાડની ડાળી ઓનો કચ્ચરઘાણ વાળતા સરોવર તરફ દોડતા હતા. ઘણાં સસલાં હાથીના પગ નીચે છૂંદાઈ ગયાં. ઘણાં કેળનાં પાંદડાં પર ચડી ગયાં.
તે દિવસે સાંજે હાથીઓ પાછા વળ્યા. ડરી ગયેલાં બધાં સસલાંઓ ભેગાં થયાં. કોઈને ખબર પડતી ન હતી કે હાથીઓના પગ નીચે ચગદાઈ મરતાં કેમ બચવું ?
બે- ત્રણ સસલાંઓ બોલ્યાં, આ તો હવે રોજનું થયું. હાથીઓએ સરોવર જોઈ લીધું છે. તેથી રોજ આ રસ્તેથી આપણને ચગદીને જવના.આખરે એક ઘરડા સસલાએ કહ્યું, હું તમને બધાને હાથીના પગ નીચે ચગદાઈ જવા નહિં દઉં.
બધાં સસલાં ઝાંડીમાં જઈ ભરાયાં.બીજે દિવસે સૂરજ ઊગતાં જ ઘરડો સસલો હાથીઓના વડા ગજરાજ પાસે પહોંચ્યો. તેણે હાથ જોડી કહ્યું,ગજરાજ,મારા પ્રણામ સ્વીકારો. કોણ છે તું ? અહીં મારી પાસે કેમ આવ્યો છે. બોલ, જવાબ આપ. ગજરાજ રોફ જમાવતાં પૂછયું.
હું ચંન્દ્રદેવનો દૂત છું. મને ચંન્દ્રદેવે મોકલ્યો છે. ગઈ કાલે આપ અને આપના સાથીઓએ ચન્દ્રદેવના સરોવરને ગંદું કરેલ છે. વળી ઘણાં નિર્દોષ સસલાંઓને પણ ચગદી નાખ્યાં છે. તેથી ચન્દ્રદેવ તમારા પર ખૂબ કોપાયમાન થયા છે.
ગજરાજ સસલાની વાત સાંભળી ગભરાઈ ગયા ને બોલ્યા, તો અમારે શું કરવું ? આજે રાત્રે ચન્દ્રદેવ સરોવરમાં પધારશે.તમે ત્યારે આવી તેની માફી માગજો. ગજરાજ બોલ્યા,ભલે, તમારા કહેવા પ્રમાણે સાંજ પડતા હું ચન્દ્રદેવની માફી માંગવા હાજર થઈ જઈશ.
સાંજ થતાં હાથીઓ સરોવર- કિનારે ભેગા થયા. શાણો સસલો તેમની રાહ જોતો જ ઊભો હતો. પૂનમની રાત્રે સરોવરનાં શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. ઘરડા સસલાએ કહ્યું, ગજરાજ જુઓ ચન્દ્રદેવ આજે તમને શિક્ષા કરવાના છે. તમે તેની માફી માગી લો.
સસલાના કહેવાથી ગજરાજે ચન્દ્રદેવનાં ચરણસ્પર્શ કરવા જેવી સૂંઢ નમાવી કે પાણી હાલતાં ચંદ્રબિંબ ધૂરજવા લાગ્યું. સસલો તરત બોલ્યો,જુઓ ચન્દ્રદેવ તમારા પર ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે ! માટે ફરીથી માફી માંગો.
ગભરાઈ ગયેલા ગજરાજ કહે, હે ચન્દ્રદેવ,અમે ફરી કદાપિ આ સરોવર તરફ નહિ આવીએ. અમને માફ કરો. થોડી વારમાં પાણી સ્થિર થતાં ચન્દ્રનું પ્રતિબિંબ પણ સ્થિર થયું.
ઘરડો સસલો કહે, ગજરાજ, બોલ પાળજો, ચંદ્રદેવ શાંત થાય છે ને તમને માફ કરી દીધા છે.ગજરાજે વિદાય લીધી. સસલાઓ નાચવા ને કૂદવા લાગ્યા. કોઈ તો વળી લપસિયા ખાવા લાગ્યા ને હીંચકવા લાગ્યા.

ભમરાનો ન્યાય

એક મોટો મધપૂડો હતો. મધમાખીઓ ખૂબ મહેનત કરીને આજુબાજુના બગીચામાંનાં ફૂલો માંથી રસ ચૂસી લાવતી. તેમાંથી મધ બનાવી મધપૂડામાં એકઠું કરતી.
બધી મધમાખીઓ મધ એકઠું કરવા બહાર નીકળી. મધમાખી ઓની રાણી મધપૂડાનું રક્ષણ કરવા અંદર રહી. થોડીવારમાં આજુબાજુનાં ગામ માંથી બીજી માખીઓ ત્યાં ધસી આવી. મધપૂડો પચાવી પાડવાની તેમને ઈચ્છા થઈ. એટલે બધી માખીઓ મધપૂડામાં ઘૂસી ગઈ.
બહારથી આવેલી માખીઓએ મધપૂડો પચાવી પાડયો. મધમાખીની રાણીને તેમણે મારીને ભગાડી દીધી. એટલામાં બહાર ગયેલી મધમાખીઓ પાછી ફરી.એમણે પોતાના મધપૂડામાં ઘૂસી ગયેલી માખીઓને કહ્યું, અમારો મધપૂડો ખાલી કરો. ઘૂસી આવેલી માખીઓ કહે, અમે તો આ મધપૂડામાં પહેલેથી જ રહી એ છીએ.
મધમાખીઓ કહે, અમે શા માટે જઈએ ? આમ બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. બંને ન્યાય માટે ભમરા પાસે ગયા. ભમરો સમજદાર હતો. ભમરાએ વિચારી કરી ઉપાય શોધી કાઢયો. તેણે કહ્યું, તમે બંને નાવો મધપૂડો બનાવી બતાવો. નવો મધપૂડો જૂના મધપૂડો સાથે સરખાવી હું કહીશ કે પહેલાંનો મધપૂડો કોનો છે.
માખી કહે, અમારે મધપૂડો બનાવવાની જરૂર નથી. અમે તો આ મધપૂડામાં રહીએ છીએ. મધમાખીઓ નવો મધપૂડો બનાવવાના કામે લાગી ગઈ. માખીઓ મધપૂડો કેવી રીતે બનાવે ? એને આવડે પણ કયાંથી ? ભમરાને માખીઓનો વહેવાર જોઈને ખાતરી થઈ ગઈ કે મધપૂડામાં મઘમાખીઓ જ રહે છે.
ભમરાએ માખીઓના બંને સમૂહને પોતાનો ચુકાદો આપી દીધો, જેને મધપૂડો બનાવતાં આવડતો જ નથી એ માખીઓ મધપૂડામાં રહે નહિ. માટે મધમાખીઓ જ આ મધપૂડામાં રહેવાની ખરી હકકદાર છે.
ભમરાની વાત માની મધપૂડામાં ઘૂસી આવેલ જૂઠું બોલતી માખીઓ શરમાઈને ઊડી ગઈ. મધમાખીઓને તેનો મધપૂડો મળી ગયો. તે પોતાના મધપૂડામાં આનંદથી રહેવા લાગી. ભમરો બોલ્યો, જે પુરુષાર્થ કરે છે તેની જ જીત થાય છે.

Saturday, May 8, 2010

ગવૈયાં તીડ

ઉનાળાની બપોરે એક ઘુવડ ઝાડની બખોલમાં ઊંઘતું હતું.
એ ઝાડની નીચે ઘાસ ઊગી નીકળ્યું હતું. બે તીડો અહીં આવી ગાવા માંડયાં. આથી ઘુવડને ઊંઘમાં ખલેલ પડી. ઘુવડે બન્ને તીડને વિનંત કરી, તમે બન્ને ગાવાનું બંધ કરો, કાં તો દૂર જઈને ગાઓ. જેથી હું નિરાંતે ઊંઘી શકું. ગાવાના તાનમાં મશગૂલ બન્ને તીડ ઘુવડની વાત સાંભળી ગુસ્સે થયા. એક તીડ બોલ્યું, એય ઘુવડ, રાત આખી ઊડાઊડ કરે છે ને દિવસે તારે ઊંઘવું છે ! તારા માટે અમારે સંગીત સાધના બંધ કરી દેવી ?તારે ઊંઘવું હોય તો બીજી જગ્યાએ જઈને ઊંઘ. કહી બન્ને તીડ પાછાં ગાવા માંડયાં.
ઘુવડે ફરી વિનંતી કરી, તીડભાઈ, તમે અવાજ કરી મને હેરાન કરો છો. સાથોસાથ જવાબ પણ કેવા તોછડા આપો છો. આ સારું ન કહેવાય.
બન્ને તીડ જાણતાં હતાં કે ઘુવડ દિવસે દેખી શકતું નથી. એટલે બોલ્યાં, એ ઘુવડ, તારાથી થાય તે કરી લે. અમને ખાવા ન મળે તો ચાલે પણ ગાવા તો જોઈએ જ ! સમજાયું ? એક તીડ વાયેલીન વગાડવા માંડયું ને બીજું તીડ નાચવા માંડયું. ને વળી ગાવાનું પણ શરૂ કર્યું.
ઘુવડ મનમાં સમસમી ગયું. તેણે મનમાં નકકી કર્યું, તીડને બરાબરનો પાઠ ભણાવવો પડશે ! તે બોલ્યું, તીડભાઈ ! તમારી વાત સાચી છે. મને તમારી સંગીત સાધનાની ખબર ન હતી. તમારું મધુર સંગીત મેં ઊંઘવામાં સાંભળ્યું નહિ. હવે હું ધ્યાનથી સાંભળીશ. તમે ગાવાનું ચાલુ રાખો.
બંને તીડ પોતાનાં વખાણ સાંભળી ફુલાયાં. બમણાં જોરથી તે ગાવા લાગ્યાં. તીડને ભોળવતાં ઘુવડ બોલ્યું, વાહ , શું તમારું ગાન છે ! બુલબુલ અને કોયલ પણ તમારા જેવું ગાઈ શકે નહિ. પરંતુ હા, આખો દિવસ ગાતાં ગાતાં તમારું ગળું સૂકાઈ ગયું હશે. મારી પાસે અમારા વડીલોએ આપેલો અમૃતનો ઘડો છે. અમૃતના ઘડામાંથી તમને થોડું પાવામાં મને આનંદ થશે. તમે અહીં આવો તો હું તમને અમૃતનું પાન કરાવું.
ખરેખર ગાઈ ગાઈને તરસ્યાં થયેલા બન્ને તીડે વિચાર્યા વગર ઘુવડની વાત સાચી માની લીધી. આમ પણ ઘુવડે બન્નેની ખુશામત કરી તેઓને ફુલાવી ફાળકો કરેલાં. બન્ને તીડ ઉપર ઘુવડ પાસે પહોંચી ગયાં. બખોલમાં અંધારું હતું. ઘુવડ પાછા પગે ચાલતું બન્નેને વધુ ઊંડે લઈ ગયું.બન્ને તીડને અંધારામાં કંઈ દેખાતું ન હતું. તેઓ કંઈ બોલે તે પહેલાં ઘુવડે પોતાની અણીદાર વાંકી ચાંચમાં પકડી લીધાં.
બન્ને તીડો છૂટવા ઘણું મથ્યાં. તેઓને ઘુવડની ખોટી ખુશામતમાં પોતે ફસાઈ ગયાં છે તે વાતની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બંને તીડને ઘુવડે પેટમાં પધરાવી દીધા. ઘુવડને થયું, હાશ હવે નિરાંતે ઊંધવા મળશે.

ચમત્કારી ઝાડ

ઉનાળાના ધમધખતા દિવસો હતા. એક મુસાફર ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તે થાકી ગયો. તેણે એક મોટું ઝાડ જોયું. મુસાફર ઝાડના છાંયે આરામ કરવા રોકાયો. મુસાફરનું નામ ઈચ્છાશંકર હતું.
ઈચ્છાશંકરને થયું, વાહ ! સૂવા માટે ગાદલું ને ઓશીકું હોત તો ઢોલિયો ઢોળીને સૂવાની મજા આવત.
ઈચ્છાશંકરને ખબર નહોતી કે જે ઝાડ નીચે એ બેઠો હાતે તે ચમત્કારી ઝાડ હતું. તે કોઈની પણ ઈચ્છાઓ પૂરી કરતું હતું.
ઈચ્છાશંકર હજુ કશું વિચારે પહેલાં આકાશ માંથી ઢોલિયો ઊતરી આવ્યો. તેના પર રેશમી ચાદર પાથરેલી હતી. સુંદર મજાનું એશીકું હતું. ઈચ્છાશંકરને માનવામાં આવતુ નહોતું કે આ સાચું છે કે સપનું છે.
તેણે પોતાને હાથે ચૂંટણી ખણી ત્યારે તેને ખાતરી થઈ કે આ સપનું નથી. ઈચ્છાશંકર ઢોલિયા પર ચડી બેઠો ને બોલી ઊઠયો
વાહ ! સરસ ! બહુ સરસ છે ! હવે આવા નિરાંતના સ્થળે એક સુંદર પરી હોય તો મજા આવે.
ઈચ્છાશંકરના વિચારતાંની સાથે જ ત્યાં સુંદર પરી આવી ગઈ. વીંઝણો લઈ તો ઈચ્છાશંકરને હવા નાખવા લાગી.
ઈચ્છાશંકર કહે, પરીરાણી, આજનો દિવસ મારા માટે ખૂબ જ શુકનવંતો છે.આપની વાત સાચી છે પરીએ જવાબ આપ્યો. ઈચ્છાશંકર કહે, મને ખૂબ જ ભૂખ લાગી છે. અત્યારે કંઈ સારું ખાવાનું મળે તો કેવું સારું !બોલતાંની સાથે જ જાતજાતનાં પકવાન, શરબત, ફળફળાદિ ને સૂકામેવાના થાળ હાજર થઈ ગયા.જાતજાતના પકવાન અને સૂકામેવાના થાળ જોઈને ઈચ્છાશંકરને થયું, આ તો રાજાની મિજબાની જ છે ને જાણે !
ઈચ્છાશંકરે પેટ ભરી ધરાઈને ખાધું અને પીધું. ફરી પાછો ઢોલિયે આડો પડયો. પરીરાણી તેને દ્રાક્ષ ખવડાવવા લાગી.
ઈચ્છાશંકરને થયું, ખરેખર મને સુખની ઘડી પ્રાપ્ત થઈ છે. પણ આ બધું ગુમ થઈ જાય તો ? અને મારા પર વાઘ હુમલો કરે તોહું શું કરીશ ? હું કયાં જઈશ ?
હજુ વિચાર પૂરો થાય તે પહેલાં તો સામેથી વાઘને આવતો જોયો. ઈચ્છાશંકર ઝડપથી ઝાડ પર ચડી ગયો. તે બૂમો પાડવા લાગ્યો, બચાવો, બચાવો. ગામ બહુ દૂર હતું. તેની બૂમો કોઈએ સાંભળી નહિ.
ઈચ્છાશંકરને થયું, મેં ઝાડના છાંયાની જ સંતોષ માન્યો હોત તો આ વાઘનું જોખમ આવી પડત નહિ. હવે તો આ વાઘ જાય તો હું ઝાડ પરથી નીચે ઊતરું. ને આવું વિચારતાં જ વાઘ ત્યાંથી જતો રહ્યો.પછી ઈચ્છાશંકર ઝાડ પરથી નીચે ઉતરી પોતાનો સામાન લઈ ચાલતો થયો.

ગધેડાનું સંગીત

ગોબા ગધેડાની ડોકે તેના માલિકે નાની ર્મમની ઘંટડી બાંધી. ગોબો ગધેડો ચાલે ત્યારે ઘંટડી ટનટનટન વાગે.
એક દિવસ તીડનું ટોળું આવી ચઢયું. ઘણાં તમરાં પણ હતાં. રાતના સમયે તમરાંનો અવાજ સાંભળી ગધેડો તો રાજી રાજી થઈ ગયો. તેને થયું જાણે હજારો પરીઓ ઝાંઝર બાંધી નાચતી ન હોય !
બીજે દિવસે સવારે તેણે તમરા અને તીડના ટોળાને પૂછયું, તમે આવું મઝાનું મધુર સંગીત કયાંથી શીખી આવ્યાં ?
તીડ અને તમરાંએ ગોબા ગધેડાની મજાક કરતાં કહ્યું, ગોબાભાઈ, અમે તમારી માફક ઉકરડાના કચરો નથી ખાતાં.અમે તો વહેલી સવારની ઝાકળ પીને જ જીવીએ છીએ તેથી અમારો કંઠ આવો મધુર બન્યો છે ! કહી તીડ અને તમરાનું ટોળું ત્યાંથી ઊડી ગયું. એક તમરું બેસી રહ્યું.
ગોબા ગધેડાએ તેને કહ્યું,મારા અવાજ સાંભળી અને પછી તુ કહે મારો અવાજ કેવો છે ? કહી તેણે હોંચીહોંચી.. કરી ભૂંકવા માંડયું.
તમરું બોલી ઊઠયું, વાહ ગોબાભાઈ, વાહ! તમારો અવાજ તો બહુ જ સુંદર છે. તમે પણ જો અમારી જેમ ઝાંકળનું પાણી પીને જ રહેશો તો તમારો અવાજ હજુ વધુ સારો થઈ જશે.
બિચારો ગોબો ગધેડો તમારાંની વાત સાચી માની ગયું. એ દિવસથી ગધેડાએ ખાવાપીવાનું છોડી દીધું. માત્ર ઝાકળનું પાણી પીવા લાગ્યો.
રોજનું અધમણ ખાનાર ગધેડાનું માત્ર ઝાકળના પાણીથી પેટ શી રીતે ભરાય ? ભૂખ્યા પેટે મજૂરી કરવાથી થોડા દિવસોમાં જ તે માંદો પડયો. તેને સમજાઈ ગયું, દરેકની જરૂરિયાત જુદી જુદી હોય. કોઈનો વાદ એમાં ન કરાય. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. અંતે ગધેડો મરણ પામ્યો.